ગોદડિયો ચોરો…અસરદાર સરદાર.
==============================================================================
ગોદડિયો ચોરો જામ્યો છે દીવાળીબેન આજે આવું છું એમ કહેતાં વેપાર વણજ સાથે મધ્યમ
વર્ગને સંદેશો મોકલાવી રહ્યાં છે.
ગોદડિયા ચોરામાં ચાકળા પર અવનવી વાતો ચાલે છે . કનુ કચોલું હરજી હોકલી કોદાળો
અમરત શકુનિ ગબજી ગોદો રણછોડ રોકડી હોકલીના હડાકા (સડાકા) મારી રહ્યા છે.
હું નારણ શંખ ગોરધન ગઠો ધૃતરાષ્ટ્ર વાતો કરતા કરતા ચોરામાં પ્રવેશ્યા તો કોદળો કહે
ઓ ચોરાના ચબુતરા અમે અહી ચર્ચાનું ચણ ચરવા બેઠા છીએ ને તમે હમણાં આવ્યા.
મેં કહ્યું જુઓ ભાઇ ને વડિલો આજે ૩૦ ઓકટોબર છે આવતી કાલે ભારતના શિલ્પી એવા
સરદાર વલ્લભભાઇ પટેલનો જન્મદિન છે તો કાલે કરમસદ જઇએ તો કેવું સારું.
ગબજી ગોદો કે’ “ઓવે લ્યા એ વલવભૈએ તો ચેવું (કેવું) મા’ન (મહાન ) કોમ (કામ) કર્યું.”
હરજી હોકલી કે’ “હંઅ (હા) જોને આ મુછોવારા રાજાઓના રાજ એક જાતકે (ઝાટકે) ચેવાં
(કેવાં) ઓંચકી (આંચકી) લીધાં. કેવુ પડે એની બુધિ (બુધ્ધિ)ને ચરતાઇને (ચતુરાઇને)”
બીજા દિવસે અમે બપોરે કરમસદ ગામે પહોંચ્યા કેમ કે “સવારમાં નેતાઓ પ્રધાનો ને બીજા
ઉગવા મથી રહેલા નેતાઓ સવારમાં ત્યાં પહોચી જાય છે ભવ્ય ને ખુમારી ધરાવતી
પ્રતિમાને હાર પહેરાવવા માટે એમના માટે લીફટ જેવી ઉચીનીચી થતી નિસરણીની
વ્યવસ્થા કરવામાંઆવે છે જ્યારે સામાન્ય જનતા માટે આવી કોઇ વ્યવસ્થા હોતી નથી.”
રણછોડ રોકડી કે’ “અલ્યા ગોદડિયા આ નેતાઓ માટે આ નેહઐણી (નિસરણી) ચમ (કેમ) “
મેં કહ્યું “આ વાંદરા નિસરણીએ ચડવા ટેવાયેલા હોય છે.”
ગોરધન ગઠો કહે આ નેતાઓ પેલા અદનાન સામીનું ગીત ગાતા હોય છે કે,
“લિફ્ટ કરા દે મુઝે ભી લિફટ કરા દે
કેઇસે કેસોંકો કિયા હૈ વૈસે વૈસોંકો કિયા હૈ મુઝે ભી લિફટ કરા દે.
મુઝે ભી પ્રધાન બના દો મુઝે ભી ખુરશી દિલા દો”
જેમ તેમ ભાગી તુટી સીડીની વ્યવસ્થા કરી અમે સરદાર સાહેબને ફુલહાર કરવા ચઢ્યા.
અમે ભાવ વિભોર થઇ એકતા અખંડિતતાના મહાન શિલ્પીને વંદન કર્યા.
ત્યારે સરદાર સાહેબે મને કાનમાં કંઇક કહેવા લાગ્યા ને હું એમની વેદના સાંભળતો રહ્યો.
અમે કરમસદ ગામમાં જઇ સરદાર પટેલ સાહેબના ઘેર જઇ શ્રધ્ધા સુમન અર્પણ કર્યા.
સરદાર જ્યંતિની ઉજવણી કર્યાનો આનંદ માણતા ઘેર ગયા ને સાંજનાચોરે બેઠક જામી.
અમરત શકુની કે’ અલ્યા ગોદડિયા સરદાર સાહેબે તને કાનમાં શું કહ્યું.
મેં કહ્યું “સરદાર સાહેબ મને ગુજરાતના તાજા હાલ પુછતા હતા.”
“આપણા તાજા અતિ ઉત્સાહી મુખ્ય મંત્રીને આપ હાલ ખુબ યાદ આવો છો.”
“સરદાર સાહેબ કહે કે કેમ એવું તે શું થયું છે કે સાઇઠ વરહ પછી એને હું યાદ આવ્યો.”
મેં કહ્યું કે “સરદાર સાહેબ હાલ એ દિલ્હીની ખુરશી દોડ સ્પર્ધામાં ભાગ લઇ રહ્યા છે.”
એ “સરદાર સરોવરમાં ૧૮૨ મીટર ઉંચી આપની લોખંડની પ્રતિમા બનાવવા માગે છે
એટલે પ્રજાનાં કામ કોરાણે મુકી એમના કાર્યકરોને લોખંડ ઉઘરાવવાનો આદેશ કર્યો છે.”
“સરદાર સાહેબે મને કહ્યું કે કોણે કહ્યું હું લોખંડનો હતો ? અલ્યા બળદિયાઓ મારૂં મનોબળ
લોખંડ જેવું હતું મારી નિર્ણય શક્તિ લોખંડી હતી.”
“અલ્યા ગોદડિયા જરાક એને જઇને કહેજે કે આ લોખંડના પાખંડ કર્યા વિના એનો ઘમંડ
છોડી ભારતને અખંડ રાખવાનો પ્રયત્ન કરે.”
હરજી હોકલી કે’ તે તેં “સરદાર સાહેબને કહ્યું નહિ કે એતો અખંડ નવખંડની ધુન મચાવે છે.”
મે કહ્યું પણ સરદાર સાહેબ કહેતા હતા કે “અલગ તેલંગણા માટે એમનો પક્ષ ટેકો આપે છે.”
નારણ શંખ કહે “અલ્યા જો સરદાર પ્રત્યે આટલો બધો પ્રેમ અત્યારે ઉભરાઇ રહ્યો છે તો
દિલ્હીમાં છ વર્ષ સુધી એન.ડી.એ.માં સતા પર બેઠા ત્યારે કેમ દિલ્હીમાં એકતા અખંડિતતા
ઘાટ ના બનાવ્યો?.”
કોદાળો કહે ” હા ને મહારાષ્ટ્રમાં ભાજપ ને શિવસેના પાંચ વર્ષ સતામાં હતા ત્યારે મુંબાઇમાં
પણ એમના અગ્નિદાહ સ્થળે કેમ સમાધિ સ્થળ ના બનાવ્યું ?”
કચોલું કહે ” આ ગુજરાતના મુખ્ય મંત્રીને છેલ્લા બે વર્ષથી સરદારની પ્રતિમાનાં શમણાં
આવ્યાં છે તો છેલ્લા દશ વર્ષથી સતામાં છે તો અમદાવાદ કે ગાંધીનગરમાં કેમ સમાધિ
સ્થળ ના બનાવ્યુ.?”
મેં કહ્યું કે ” આ તો સતાના ખેલ છે . આજકાલ ભાજપ ને કોંગ્રેસવાળા સતાના સનેડા ગાય છે.”
” હે સનેડો સનેડો સતાનો લાલ સનેડો.
હોંભરજો ભાઇ સતાનો લાલ આ સનેડો
હે ગાદી માટે ગાંધી હોંભરે ને સતા માટે સરદાર
નાણા માટે નરસિંહ હોંભરે પ્રજાની ના કરે દરકાર રે…સતાનો લાલ સનેડો.
બાબુએ તો બહુ કર્યું ને દિનુ પોતાને માને સરકાર
મદરેણાએ ભંવરી મારી ગયા જેલમાં બાબુ નાગર રે…સતાનો લાલ સનેડો
કુટુંબવાદ કેરી કથા જુઓ ગાંધી વંશનો વહેવાર
ગાજેન્દ્ર તો ગાજ્યા ને કરે ઇતિહાસને ઉલટફેર રે…….સતાનો લાલ સનેડો.”
ગોરધન ગઠો કહે “અલ્યા ઇતિહાસનો ઉલટફેર હમજાયું (સમજાયુ) નૈ (નહિ).”
મેં કહ્યું “સરદાર સાહેબે કહ્યું જોયુ લ્યા સતાની લાયમાં મને જન્મ દિવસે જ મારી નાખ્યો.”
“આ મારી પ્રતિમાના ખાત મહુર્તમાં મારા જન્મ દિનને પુણ્ય તિથિ બનાવી દીધી.”
છેલ્લે મને સરદાર સાહેબે કહ્યું………
અરે હં જો ગોદડિયા “આમેય કોંગ્રેસ ને ભાજપ બેય રોજ ઝઘડે છે ને દીવાળી પછી
તાલુકાવાર કે બેઠકવાર સ્નેહ મિલન કાર્યક્રમ રાખે છે તો તું પેલા રાજકોટવાળા કોકને
સ્પિકર બનાયા છે એમને કહે જે કે આ બધાય ભેગા થઇ લાભ પાંચમે બધા ગઠિયા ભેગા
મળી ગાંઠિયા ખાય ને મઠિયાંનાં લઠિયાં છોડી બુમોની લુમો છોડી પ્રજાની સુખ સગવડો
વિશે વિચારે.”
“જો કે મને તો ખબર જ છે કે ત્યાંય કોંગ્રેસીયા સોનિયા બાવની રાહુલ ચાલીસાથી ગગનને
ગજાવશે જ્યારે ભાજપીયા નરેન્દ્ર ભાગવત સપ્તાહના શ્ર્લોકો જોરશોરથી ગાશે.”
ગાંઠિયો=
” જ્યારે સરદાર અસરદાર હોય ત્યારે ભલ ભલાં ભુતો ભાગી જાય છે.”
” શાહનવાઝ ભુટો જુનાગઢ છોડી પાકિસ્તાન ભાગી ગયા.”
=================================================
સ્વપ્ન જેસરવાકર
સરદારની પ્રતિમાનું આવું ભવ્ય આયોજન એટલે ઐતિહાસિક સ્મારક..તેમાં કાંકરોચાળી એટલે વિઘ્ન સંતોષીઓના બળાપા.સારું કામ થાય એને સો ટેકા. ..પછી રાજકારણ હોય તો પણ ગુજરાત ને ભારતનું એ ગૌરવ ઝળહળતું રહેશે જ.
રમેશ પટેલ(આકાશદીપ)
LikeLike
આદરણીય શ્રી રમેશભાઇ, (આકાશદીપ)
આપ શ્રી દ્વારા અસરદાર સરદાર્ના ચરણે શુભેચ્છાનાં ફુલ વરસાવ્યાં તે બદલ ખુબ આભાર.
LikeLike
આદરણીય વડિલ શ્રી વિનોદકાકા,
હર હંમેશની માફક આપે નવલા વર્ષે મારા આંગણિયે શબ્દ સંદેશનાં ફુલડાં વેર્યાં એ બદલ ખુબ જ આભાર .
LikeLike
“સરદાર સાહેબે મને કહ્યું કે કોણે કહ્યું હું લોખંડનો હતો ? અલ્યા બળદિયાઓ મારૂં મનોબળ
લોખંડ જેવું હતું મારી નિર્ણય શક્તિ લોખંડી હતી.”
“અલ્યા ગોદડિયા જરાક એને જઇને કહેજે કે આ લોખંડના પાખંડ કર્યા વિના એનો ઘમંડ
છોડી ભારતને અખંડ રાખવાનો પ્રયત્ન કરે.”
તદ્દન સાચી સલાહ અસરદાર સરદારની .
નવા વર્ષના આ ગોદડીયા ચોરાની શરૂઆત ખુબ ગમી . અંતે મુકેલો આ ગાંઠિયો
એ સરદાર પટેલની સાચી ઓળખાણ આપી એમને સરસ અંજલિ આપે છે .
” જ્યારે સરદાર અસરદાર હોય ત્યારે ભલ ભલાં ભુતો ભાગી જાય છે.”
” શાહનવાઝ ભુટો જુનાગઢ છોડી પાકિસ્તાન ભાગી ગયા.”
નવા વરસે આવા ગાંઠીયાની વર્ષા વરસાવતા રહો એવી શુભેચ્છાઓ . સાલ મુબારક ફરી ફરી .
LikeLike
આદરણીય વડિલ શ્રી દાવડા સાહેબ
હર હંમેશની માફક આપે મારા આંગણિયે શબ્દ સંદેશનાં ફુલડાં વેર્યાં એ બદલ ખુબ જ આભાર .
LikeLike
વાંદરાની નિસરણી અને નેતાઓની નિસરણીની સરખામણી બહુ સરસ છે. સરદારની વિરાસત માટેની ખેંચતાણ વખતે ગોદડિયાની આ ચર્ચા યથાયોગ્ય છે.
LikeLike