ગોદડિયો ચોરો…યમરાજાનું ડુબકાસન.

 ગોદડિયો ચોરો…યમરાજાનું  ડુબકાસન.

===================================================

ગોદડીયો ચોરો

પેલા અઢી વરસના ઉમેરાની લાલચે સમગ્ર ઉતર ભારતમાંથી યમરાજના

દેખાયાના સમાચાર ફોન ફેક્સ એસએમએસ દ્વારા આવવા લાગ્યા. દેવર્ષિ

કહે અલ્યા ચાલ હવે આ તારા ગોદડિયા ચોરાના ચૌદશિયા સાથે યમરાજને

શોધવા ત્વરિત પ્રયાણ કરીએ . મારેય બ્રહ્મલોકમાં સંદેશ કરવો પડશે.

કનુ કચોલાએ મિની લકઝરી બસ ભાડે કરી લીધી.

નારણ શંખ અને ધૃતરાષ્ટ્રે મળી રસ્તામાં નાસ્તા પાણીની વ્યવસ્થા કરી.

કોદાળાજી બધાય પેકેટો સરસ રીતે ગોઠવતો જાય ને બોલતો જાય. આ ચવાણું,

ચોરાફળી, સુકાં ભજિયાં, ગાંઠિયા, સેવ ,સુતરફેણી, કોપરાપાક, આ હલવાસન.

નારદજી કહે ” અલ્યા કોદાળા આને હલવાસન કેમ કહેવાય. ? “

ધૃતરાષ્ટ્ર કહે ” દેવર્ષિ એને બનાવતા હાલવું પડે એવું આસન કરવું પડે . ખંભાતના

સુખડિયા આને હાલવાના આસન કરતાં બનાવે એટલે એનું નામ હલવાસન પડ્યું .”

કનુ કચોલું કહે ” અલ્યા ઓ આંધળા . જબરી સફૈયો મારે છે. આ પેલા મુંબઇવાલા

હલવાનો સન (હલવાનો દિકરો) પણ કેવાય કે નહિ. ! “

(હલાવાસન અર્થ  વિચાર મુરબ્બી શ્રી વલીભાઇ મુસા પ્રેરિત છે .)

લકઝરી બસને ગોરધન ગઠાએ શણગારી ” યમ શોધન વાહન “ એવું બોર્ડ માર્યું.

ખંભાતથી બસ ખેડાના પંથકે જુસ્સાભેર દોડવા લાગી.

ખેડા અમદાવાદના નેશનલ હાઇવે નં ૮ પર ટોલ ટેકસ આવ્યો. તો નારદજી કહે આ શું ?

નારણ શંખ કહે ” ખરેખર તો આને “ઢોલ ટેક્સ ” કહેવાય. કોન્ટ્રાકટર નેતાઓ આના પૈસા

ખાઇ ખાઇ ઢોલ જેવા ઢમ બની જાય . સરકારના હિસ્સે ખાલી શકોરું જ આવે. “

અમદાવાદમાં મોટેરા આશ્રમ આવ્યો તો નારદજી કહે અહીં ગયા વર્ષે કશું થયું તું  ને.?

મેં કહ્યું ” દેવર્ષિ આ ફસારામજીનો આશ્રમ છે. અહિં હિન્દુસ્તાનમાં દર અઠવાડિયે એક નવો

 બાપુ , બાબા , મહંત ને ધામ (રામ) જેવા બાવા બિલાડીના ટોપની જેમ ફુટી નીકળે છે.

બધાય ખરાબ ને ધુતારા નથી હોતા. પણ સુકા ભેગુંં લીલુંય બળી જાય છે.”

” દેખી બુરાઇને ના ડરું શી ફિકર છે મને પાપની

   બધાં પાપોને ધોવા માટે  ગંગા વહે છે આપની “

દેવર્ષિ કહે અલ્યા પૌરાણિક વારસો ધરાવતા દેશમાં ખુબ દુષણો ઘર કરી ગયાં છે .!

 આ દેશમા ઋષિ મુનિઓ દ્વારા જુદાં જુદાં યોગાસનો ને જડિબુટ્ટી દ્વારા રોગમુક્ત જીવન

જીવવાના પ્રયોગો થતા હતા. એ હવે ક્યાં દેખાતું નથી લાગતું .”

મેં કહ્યું ” બાબા ઢોંગદેવ  બાબા ઢોંગપાલ જેવા બાવાઓ એના પર કબજો જમાવી બેઠા છે.

ઢોંગપાલ ને ફસારામ જેવા બાવાઓ ” લવાસન “ “પ્રેમાસન” ને” વ્યભિચારાસન” જેવા

અનૈતિક આસનો દ્વારા ભોળી પ્રજાને “વ્યાસાસને”થી ઉપદેશના નામે ઉલ્લુ બનાવી

પોતાના “કામાસન “નો હેતુ સિધ્ધ કરવા સાથે બે નંબરી ” નાણાંસન “ ભેગું કરે છે .

પેલા ઢોંગગુરુ  કે કાળાંનાણાંના મુદ્દે બરાડા પાડનારાઓની ફસારામના નાણાં ઘીરધારના

વેપાર અંગે બોબડી બંધ છે.”

રાજસ્થાનમાં પ્રવેશવાની સરહદે આર.ટી.ઓ દ્વારા વાહન ચકસણી નામે પૈસા લેતા હતા.

દેવર્ષિ કહે ” અલ્યા બઠા આ પોલિસવાળા શું કરે છે. ?”

બઠો કહે ” નારદજી આને “તોડાસન “કહેવાય.  બધા રાજ્યોમાં આ આસન જામી પડ્યું છે .”

ઉદેપુર રહી જયપુર જવાના હાઇવે પર એક દારુડિયો બક બક કરતો લથડિયાં ખાતો હતો.

મદિરાપ્રેમી ધૃતરાષ્ટ્ર કહે ” દેવર્ષિ આને “મદિરાસન “કહેવાય. આથી પગને કસરત મલે.”

હરિયાણા સરહદે ટોળું જામ્યું હતું જોયું તો લડતાં જુથો ગાળો સાથે મારામારી કરતા હતા.

કનું કચોલું કહે દેવર્ષિ ” આ “ગાળાસન” સાથે શરુઆત કરી “લડવાસન” સમીપ  જાય છે. “

આખરે અમે દિલ્હી (હસ્તિનાપુર) પ્રવેશ્યા તો ત્યાં દરેક પક્ષો દ્વારા સભા યોજાઇ રહી હતી.

નારદજી કહે “આ બધાય ભેગા કેમ થયા છે . વ્યાસપીઠથી કયા કથાકાર કથા કરે છે.”

ગોરધન ગઠો કહે ” નારદજી આ કથાકારો નથી .  “સિંહાસન” પર કબજો જમાવવા જનતાને

ભેગી કરી “લોભાસન” સાથે “ખોટાસન” “વચનાસન” આપી “સતાસન” કબજે કરવા માટે

“સભાસન “કરે છે “વ્યાસાસને”  અઠંગ “નટાસન” અને “નટીસનો” છે.”

લખનૌ આવ્યું નારદજી કહે આલ્યા ગોદડિયા લખનૌ આવ્યું. પેલા ફોનવાળાને પુછ.

મેં કહ્યું દેવર્ષિ ” એતો પેલા મુલાયમ જ હશે.  છે ખરબચડા પણ લોકો મુલાયમ કહે છે.”

ત્યાંથી આગળ વધી અમે પટના લાલુજીના નિવાસસ્થાને પહોંચ્યા.

લાલુજીએઆમારું તેમજ દેવર્ષિ નારદજીનું સ્વાગત કરી રબડીદેવી તેમજ તેમની નવલખી

કુટંબીજનોની મુલાકાત કરાવી. ( નવલખી = લાલુજીના નવ સંતાનો )

મેં કહ્યું લાલુજી ” ચિત્રગૃપ્તજીના મુનિમજી યમરાજ વાહન સાથે આપને મલ્યા ખરા ?”

લાલુજી કહે ” હ્રુત ફ્રુત થ્રુત સાલા ઉનકા ભેંસા (પાડો) સાલા મુઝે લાલુજીકો પુછતા થા કિ

ઘાસચારા મિલેગા? સાલા ભૈંસવા મેરી મજાક કરતા થા. સારે હિન્દુસ્તાનમેં ભાજપા ઓર

કાંગ્રેસવાલે ઘાસચારા- ઘાસચારા ખા ગયા કેહતે મેરા મજાક ઉડાતે હૈ. વહીં એક ભૈંસા મેરા

 મજાક કરે યે કૈસે સહા જાય. મેંને હરદ્વાર વો હમારા યાદવ જો ઢોંગગુરુ બનકે સાલા

નરેનદર મોદીકી ચમચાગીરી કરતા હૈ ઉસકે પાસ યમરાજ ઓર ભૈસાકો ભેજ દીયા હૈ.”

 અમે હરદ્વાર પહોંચ્યા ગોદડિયા ચોરાના ચૌદશિયા સાથે દેવર્ષિએ મા ગંગાના દર્શન કર્યાં.

બધાય ગંગામાં ડુબકી મારતા હતા ત્યાં કોદાળાને યમરાજ અથડાયા ને ચીસ પાડી ઉઠ્યો.

નારદજી કહે “અલ્યા આ તો અમારો યમરાજ છે. નારદજી કહે યમરાજ આ શું કરો છો ?”

યમરાજ કહે ” દેવર્ષિ પ્રણામ હું અત્યાર સુધી જીવોને લઇ ગયો ને જેટલા પાપ કર્યાં છે

એને  પતિત પાવન મા ગંગાના પુન્યશાળી જળમાં ડુબકી મારી પાપો ધોઇ રહ્યો છું. ”

ભદો ભુત કહે ” જોયુ દેવર્ષિ યમરાજ “પાપાસન” “ધોવાસન” અર્થે “ડુબકાસન” કરે છે.”

 

ગાંઠિયો=

“નથી દીઠી ભુખ જીવનમાં જેણે છતાંય  ભુખ પર બોલે

 આચરે અનિતી ભર્યું જીવન ને સભામાં નિતી પર બોલે

 સત્તા લક્ષ્મી નારી જોઇને જેનાં નયન ચકળ વકળ ડોલે

 એવા બાવાઓ વ્યાસપીઠ બેસી ને પાછા ધર્મ પર બોલે.”

===========================================================

સ્વપ્ન જેસરવાકર

8 thoughts on “ગોદડિયો ચોરો…યમરાજાનું ડુબકાસન.

  1. ચાલો સારું થયું છેવટે દેવર્ષિને યમરાજ ગંગામાં ડૂબકી મારી પાપ ધોતા મળી ગયા !

    જુદાં જુદાં આસનો વિષે બહુ જાણવાનું મળ્યું .

    મોઢેરા આશ્રમના ફ્સારામ બાપુ નામ બરાબર યોગ્ય આપ્યું છે.

    Like

  2. “નથી દીઠી ભુખ જીવનમાં જેણે છતાંય ભુખ પર બોલે
    આચરે અનિતી ભર્યું જીવન ને સભામાં નિતી પર બોલે
    સત્તા લક્ષ્મી નારી જોઇને જેનાં નયન ચકળ વકળ ડોલે
    એવા બાવાઓ વ્યાસપીઠ બેસી ને પાછા ધર્મ પર બોલે.”
    દંભના સરદાર અનુભવી કરતા વધુ સારી રીતે પ્રેઝન્ટ કરી શકે

    Like

Leave a reply to ડૉ. કિશોરભાઈ એમ.પટેલ જવાબ રદ કરો